આજ રોજ વરસી રહેલા અતિભારે વરસાદ તથા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહીને અનુલક્ષીને તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ વલસાડ તાલુકાના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર- બરૂડિયાવાડ અને નનકવાડાની મુલાકાત કરી હતી ત્યારબાદ રામલાલા મંદિરના હોલમાં આશ્રય લઈ રહેલા લોકોની ખબર અંતર પૂછી તેમના માટે કરાયેલી સુવિધાની માહિતી મેળવી હતી. કલેકટરશ્રી દવે, પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા અને પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએ બંને કાંઠે વહી રહેલી ઔરંગા નદીના રોદ્ર સ્વરૂપનું પણ નિરીક્ષણ કરી સલામતીના પગલાં માટે જરૂરી સૂચના આપી હતી. એનડીઆરએફના જવાનોએ બરૂડિયાવાડમાંથી અનેક બાળકોને પોતાના માથા પર બેસાડી જ્યારે અશક્ત વૃધ્ધોને ઉંચકીને સલામત સ્થળોએ ખસેડયા હતા.

