રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય, ગાંધીનગર સી.આઈ.ડી.ક્રાઈમના ડૉ.રાજકુમાર પાંડીયન અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરી સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્ત વયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓની જાહેરાત આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં જુલાઇ – ૨૦૨૪માં ફકત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલા બાળક/બાળકીઓ કુલ ૨૪ તથા સ્ત્રી પુરૂષ કુલ ૨૫ મળી કુલ- ૪૯ને શોધી કાઢવામાં જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં વર્ષ ૨૦૨૩માં ૦ થી ૧૮ વર્ષની વયમાં ૧ છોકરી અને ૧૮થી ઉપરની વયમાં ૧ મહિલા ગુમ થઈ હતી. આ સિવાય વર્ષ ૨૦૨૪માં ૦ થી ૧૮માં ૬ છોકરા અને ૧૭ છોકરી જ્યારે ૧૮ થી વધુ પુખ્ત વયમાં ૧૭ મહિલા અને ૭ પુરૂષ ગુમ થયા હતા. બંને વર્ષમાં ગુમ થયેલા ઉપરોક્ત કુલ ૪૯ને માત્ર એક માસ જુલાઈ દરમિયાન શોધી કાઢી તેમનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

