(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી કે વાઘેલા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આરોગ્ય કર્મચારીઓ અને વિરમગામ નગરપાલીકાના કર્મચારીઓની મીટીંગ લેવામાં આવી હતી. ખાસ કરીને વિરમગામ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જયવાય, લોકોને સ્વચ્છ સલામત ક્લોરીનયુક્ત પીવાનું પાણી પુરૂ પાડવા અને સમયાંતરે ડસ્ટીંગ કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. મંગળવારે વિરમગામ નગરપાલીકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક જગ્યાએ ડસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી અને આરોગ્ય વિભાગમા સુપરવાઇઝરો, કર્મચારીઓ દ્વારા સુપરવીઝન કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારે જણાવ્યુ હતુ કે, ચાંદીપુરા વાયરસ એ એક જીવલેણ વાયરસ છે. ચાંદીપુરામાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, સાંધાનો દુખાવો, રક્તસ્રાવની વૃત્તિઓ (પેટેચીયા, એકીમોસિસ, હેમેટેમેસિસ), ન્યુરોલોજીકલ લક્ષણો (ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ) જેવા લક્ષણો જોવા મળે છે. ચાંદીપુરા વાયરસથી બચવા માટે નિવારણ: વેક્ટર નિયંત્રણ (જંતુનાશકો), વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (માસ્ક, મોજા, મચ્છરદાની) ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો જોઇએ. ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે, અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે. નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે. સાવચેત અને સમય સૂચક રહો.

