Gujarati

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી

Written by krishnanewsnetwork

 

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશનાં પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ધરમપુર ખાતેના આશરે ૨૦૦ વર્ષ જુના હેરિટેજમાં સ્થાન પામેલ અને ધરમપુર નગરજનોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરી પ્રજાની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ મંદિરના ટ્રસ્ટીગણ સાથે આ હેરિટેજ મંદિરની માહિતી મેળવી અભિભૂત થયા હતા.ઉપરાંત ધરમપુરના સુવર્ણજયંતી ઉજવી રહેલા શ્રી નવયુવક ગણેશમંડળના ગણેશ પંડાલની મંત્રીશ્રીએ મુલાકાત લઇ ભગવાન શ્રી ગણેશની પૂજન – અર્ચન કરી ગણેશમંડળને તેમની પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા. વર્ષ – ૧૯૭૪માં શરૂ થયેલા આ ગણેશમંડળની મુલાકાત લઇ તેમના સ્થાપક ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા), ગજેન્દ્રસિંહ રાવરાણા (નન્ના કાકા), સ્વ. ડોમનીક રોડ્રીગ્સ (દુબીન કાકા), મુનીકુમાર મહેતા (મેહતાસાહેબ), સ્વ. દિનાનાથ મયેકર (દિનાનાથકાકા) એ ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી એ ઘટનાને તાજી કરી હતી. આજે ત્રીજી પેઢીએ પણ ગણેશ પંડાલની ઉજવણીનો વારસો જાળવી રાખ્યો છે. શ્રી નવયુવક ગણેશમંડળના ગણેશ પંડાલની સાથે સંકળાયેલા ધાર્મિક – સામાજીક પ્રવૃતિમાં સહભાગી થતા કાર્યકરોની કામગીરીને મંત્રીશ્રી દ્વારા બિરદાવી તેમને પ્રોત્સાહિત કરાયા હતા.યુવા મોર્ચાના જૂના સાથીમિત્ર અને ધરમપુરના સંગઠન કાર્યકર શ્રી ગણેશભાઇ બીરારીના પિતાશ્રીના અવસાનના સમાચાર મળતા ખાસ એમના પરિવારને મળવા પહોંચેલા ગૃહ રાજ્યમંત્રીએ એમના ઘરે મુલાકાત કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.ધરમપુરની મુલાકાત બાદ મંત્રીશ્રીએ વલસાડ ખાતે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલના દાદીયા ફળિયા વિસ્તારના ગણેશપંડાલની મુલાકાત લઇ શ્રી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરી હતી.મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ગણેશ પર્વ પર ગણેશ પંડાલોમાં મંડપ, લાઇટીંગ, ટ્રાન્સપોર્ટ, પૂજાવિધિ જેવી કામગીરીને કારણે ધાર્મિક પ્રવૃતિઓની સાથે સાથે લોકોને રોજગારીની પણ ભરપૂર તકો પૂરી પડે છે. આમ, ગણેશ પર્વ લોકો માટે ધાર્મિક લાગણીઓની સાથે રોજગારીનું પણ સાધન બની રહ્યુ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ વલસાડ નગરના રામવાડીના ગણેશપંડાલની મુલાકાત લઇ શ્રી ગણેશ ભગવાનની પૂજા- અર્ચના કરી હતી.મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ સાંસદશ્રી ધવલભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમતભાઇ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રીઓ મહેન્દ્રભાઇ ચૌધરી, શિલ્પેશ દેસાઇ, વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરણરાજ વાઘેલા અને સંબંધિત અધિકારીઓ પણ સાથે જોડાયા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment