26મી ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.વાપી ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ ભાજપના પ્રભારી અને સુરતના ધારાસભ્ય (ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી) શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશના સહ-પ્રભારી શ્રી દુષ્યંત પટેલ (પૂર્વ ધારાસભ્ય ભરૂચ) ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની સ્મૃતિમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2022 જાન્યુઆરીમાં, ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વ પર, પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીજી દ્વારા દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહ શીખ ધર્મના સૌથી આદરણીય શહીદોમાંના એક છે.
વર્ષ 1704માં ઔરંગઝેબના આદેશને પગલે આનંદપુર સાહિબને મુગલ સૈનિકોએ ઘેરી લીધું હતું. આ ઘટનામાં ગુરુ ગોવિંદ સિંહના બે પુત્રોને પકડી લેવામાં આવ્યા હતા, તેમના પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તેઓ સ્વીકારે તો તેમને જીવતા છોડી દેવાની ઓફર કરવામાં આવી હતી. બંનેએ આ ઓફરને નકારી કાઢી હતી, જેના કારણે તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો અને તેમને જીવતા ઈંટની દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ બંને શહીદોએ ધર્મના મહાન સિદ્ધાંતોથી વિચલિત થવાને બદલે મૃત્યુને પ્રાધાન્ય આપ્યું હતું જે આજની યુવા સનાતની પેઢી માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
બહાદુર બાલ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલજીએ કહ્યું કે… વીર બાલદિવસ ખાલસાના ચાર સાહિબજાદાઓના બલિદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે. છેલ્લા શીખ ગુરુ ગોવિંદ સિંઘજીના નાના બાળકોએ તેમની આસ્થાની રક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ તેમની સ્મૃતિઓ ને યાદ કરવાનો અને મુગલો દ્વારા તેમની કેવી રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જાણવાનો પણ દિવસ છે. ખાસ કરીને જોરાવર અને ફતેહ સિંહના બલિદાન ને સારસા નદીના કિનારે થયેલા યુદ્ધ દરમિયાન, બંને સાહિબજાદોને મુગલ સૈન્ય દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા અને ઇસ્લામ ન સ્વીકારવા બદલ તેઓ બંનેને સગીર વયે કથિત રીતે જીવતા દીવાલ માં ચણી દેવામાં આવ્યા હતા.આજે હું બહાદુરોને સલામ કરું છું. અને આ બાલ શહીદો ને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.

