Gujarati

બારડોલી તાલુકાના માણેકપોર ગામના પનોતા પુત્ર કેપ્ટન ડો એ.ડી માણેકનું મુંબઈમા બહુમાન કરાયું

Written by krishnanewsnetwork

વર્ષ-૧૯૮૩માં મહારાષ્ટ્રમાં બેસ્ટ એન.સી.સી કેડેટ્ તરીકે વિજેતાં થયેલાં ‘કેપ્ટન (ડો.)એ.ડી માણેક’એ પોતાના જીવન દરમિયાન દેશના યુવાધનને શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવા અને યોગદાનને ધ્યાને લઈને મુંબઈમાં ૨૪મી-મે ના રોજ મુંબઈ યુનવર્સિટીમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં
એન.સી.સી વિભાગના વડા ડાયરેક્ટોરેટ લેફ્ટેનન્ટ જનરલ ગુરુબીરપાલસિંહ દ્વારા બહુમાન કરાયું અને એન.સી.સી કેડેટ બેસ્ટ એવોર્ડ જીતનારને ૨૪મી મેં-૨૦૨૩ બાદ કાયમ માટે ‘કેપ્ટન ડો. એ.ડી માણેક સ્કોલરશીપ’ આપવાની જાહેરાત કરાઈ છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અંતરિયાળ ‘માણેકપોર’ ગામમાં ગરીબ પરિવારમાં જન્મ લેનારું બાળક મોટું થઈને આજે એવા શિખરો સર કરી ચૂક્યું છે કે તેના ઉપર એક ૨૫૦ પાનાની બુક ‘ઉડાન એક મજદુર બચ્ચે કી’ પણ લખાઈ ગઈ છે. વિદેશોમાં પણ આ વ્યક્તિની ચર્ચાઓ થઈ રહી છે તથા તેમની જીવનયાત્રાનું અંગ્રેજી ઓડિયો બુક વિદેશનું યુવાધન પણ સાંભળી રહ્યું છે. આ સિવાય બોલિવુડમાં હિન્દી બોધપાઠ ફિલ્મ પણ બની રહી છે જેમાં ડો.માણેકના જીવનસંઘર્ષને દર્શાવવા પ્રયાસ કરાયો છે. ગત ૨૪ મી-મે ૨૦૨૩ના રોજ આઈકોનિક હોલ મુંબઈ યુનિવર્સિટીમા મહારાષ્ટ્ર રાજ્યના એન.સી.સી ડાયરેક્ટોરેટ કમોડોર સતપાલસિંહ અને ભારત દેશના એન.સી.સી વિભાગના વડા ડાયરેક્ટોરેટ લેફ્ટેનન્ટ જનરલ ગુરુબીરપાલસિંહ દ્વારા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચલાવાતી નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી) દ્વારા બારડોલીના માણેકપોર ગામના પનોતા પુત્ર ‘કેપ્ટન ડો એ.ડી માણેક’ દ્વારા શિક્ષણ ક્ષેત્રે દેશના યુવાધનને અપાયેલી સેવાઓ અને યોગદાનને ધ્યાને લઈને એન.સી.સી દ્વારા વિશેષ બહુમાન કાર્યક્રમ રખાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એવી જાહેરાત કરાઈ હતી કે મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે જે બેસ્ટ એન.સી.સી કેડેટ્નો એવોર્ડ જીતશે તેવાં કેડેટને વર્ષ-૨૦૨૩થી કાયમ માટે ‘કેપ્ટન ડો એ.ડી માણેક સ્કોલરશીપ’ એન.સી.સી. દ્વારા અપાશે.
એન.સી.સીના ડાયરેક્ટોરેટ જનરલે ખાસ યોજેલાં સમારંભમા મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, આર્મી-નેવી, એરફોર્સના અધિકારીઓ, શિક્ષણ જગતના વિદ્વાનો સહિત 500થી વધુ આર્મી-નેવી, એરફોર્સ, ત્રણે વિંગના એન.સી.સી કેડેટ્સોની હાજરીમાં મુંબઈ યુનિવર્સિટીના ઐતિહાસિક આઈકોનિકલ હોલમાં જાહેરાત કરી ‘કેપ્ટન ડો એ.ડી માણેક’નું બહુમાન કરાયું હતું.
નોંધનીય છે કે તદ્દન ગરીબ પરિવારમાં જન્મેલાં અને બાળપણમાં ઘાસ કાપી, મજૂરી કરતી વખતે આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને સપનું સેવ્યું હતું કે પોતે ખૂબ જ મહેનત કરીને ભણી-ગણીને પાયલટ બનશે. મજૂર બાળકે કરેલી મહેનત આજે કેપ્ટન અને ડોક્ટરેટની પદવી સાથે
તેમને ‘કેપ્ટન (ડો.)એ.ડી માણેક’ના નામથી સિદ્ધ અપાવી છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલતા એન.સી.સી દ્વારા કરાયેલું બહુમાન ગૌરવભરી ક્ષણ છે. ખરેખર ગુજરાતના ગૌરવ બનનારા કેપ્ટન (ડો.)એ.ડી માણેક દરેક ગુજરાતીની ઓળખ બન્યાં છે ત્યારે ગુજરાતના યુવાધન માટે દિવાદાંડી સમાન છે.

બોક્સ :
*આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને સેવ્યું હતું ‘સપનુ’*
આજના ‘કેપ્ટન ડો એ.ડી માણેક’નું બાળપણ ગરીબીના કારણે ડગલે-ને-પગલે કચડાતું હતું. માત્ર ૧૨ વર્ષની ઉંમરે આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને એક દિવસ તેને ઉડાડવાનું સપનું સેવનારું આ બાળક જીવનમાં અનેકો સંઘર્ષ સામે બાથ ભીડીને કેન્દ્ર-રાજ્ય સરકારના ખાસ કાયદાઓમાં પણ જળમૂળથી બદલાવ લાવીને અનેકો વિદ્યાર્થીઓને મદદરૂપ થનારા ‘કેપ્ટન (ડો.) એ.ડી માણેક’ પાયલટ ઈન્સ્ટ્રક્ટર છે અને છેલ્લાં ૩૬ વર્ષોથી મુંબઈમા ‘ધી સ્કાયલાઈન એવિએશન ક્લબ’ થકી પાયલટ પ્રશિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. મહત્વની વાત એવી છે કે ‘કેપ્ટન (ડો.)માણેક’ના બન્ને દિકરાઓ પણ કોમર્શિયલ પાયલટ છે જેમાનાં એક ‘કેપ્ટન નિરવ માણેક’ ઈન્ડિગો એરલાઈન્સમાં કમાન્ડર છે. બીજા દિકરા ‘કેપ્ટન અંકુર માણેક’ ધી
સ્કાયલાઈન એવિએશનમાં પાયલટ પ્રશિક્ષક છે. આ સંસ્થા થકી કેપ્ટન (ડો.)એ.ડી માણેક છેલ્લાં ૩૬ વર્ષોમાં ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને એરલાઈન્સ પાયલટની તાલીમ આપી ચૂક્યાં છે જે સાચા અર્થમાં ‘ગુજરાતનું ગૌરવ’ છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment